જેતપુર: અનુ.જાતિ અંગેની ગ્રાન્ટ અંગે પૂછતાં, રૂપાવટી ગ્રામ પંચાયત કચેરીમાં જ દલિતને ઢોર માર મરાયો

Rajkot: દલિત અત્યાચાર (Dalit Atrocity) અટકાવવા માટે સરકાર (Government) દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવતા હોય છે. પરંતુ જાણે દલિત અત્યાચાર થમવાનું નામ જ ન લેતા હોય તેવી ઘટનાઓ છાશવારે બનતી રહેતી હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર (Jetpur) તાલુકામાં રૂપાવટી (Rupa vati) ગામમાં જ આવી એક દલિત અત્યાચારની ઘટના સામે આવી છે. જેના વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ (Social Media Viral video) થયા છે.

શું છે પુરી બાબત? 

ગત તા. 20 ના રોજ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના રૂપાવટી ગામમાં જ આવેલી ગ્રામપંચાયત કચેરીમાં ગ્રામપંચાયતના દલિત મહિલા સદસ્યના પતિ રમેશ સાદીયા જણાવ્યા મુજબ તેમના દ્વારા તલાટી મંત્રી ને અનુસૂચિત જાતિ (Schedule caste) અંગેની ગ્રાન્ટ વિષે પૂછી રહ્યા હતા. ત્યારે આ દરમિયાન બીજા ઘણા શખ્સો પણ ત્યાં હાજર હતા. જે દરમિયાન અમુક કથિત માથાભારે શખ્સો દ્વારા દલિત મહિલા સદસ્યના પતિ રમેશ સાદીયા ઉપર હુમલો કરી દીધો હતો અને તેમને મૂઢમાર માર્યો હતો. તેમજ ત્યાં હાજર રહેલા એક વ્યક્તિનો મોબાઈલ પણ કથિત માથાભારે શખ્સો દ્વારા તોડી નાખવામાં આવ્યો હતો. જે બાદ રમેશ સાદીયાને જેતપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અને જેતપુર તાલુકા પોલીસ દ્વારા તેમનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું. અને ત્યારબાદ રૂપાવટી ગ્રામપંચાયતના દલિત મહિલા સદસ્યના પતિ રમેશ સાદીયા ને વધુ સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા હતા.

હાલ આ અત્યાચારના વિડિઓ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયાં છે, ઉલ્લેખનિય છે કે જ્યારે દેશની સ્વતંત્રના 75 વર્ષ ને આઝાદીના અમૃત મહોત્સવ તરીકે સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે આઝાદીના 75 વર્ષ બાદ પણ દલિત અત્યાચાર ક્યારે અટકશે તે જોવાનું રહ્યું.